About us

સમય નથી



 ‌"ગંગાપૂજન વિધિ સંપન્ન થઈ . હવે તમે ભગવાનને પગે લાગી, બ્રાહ્મણાે તથા વડીલોને પગે લાગી લો. "ઈશાની તથા એનો પતિ પૂજામાંથી ઉઠી બ્રાહ્મણોને પગે લાગ્યા બાદ વડીલોમાં  તો એક કાકા અને મામા જ હતા. તે પણ પતિના- ઈશાનીનું કુટુંબ તો ઘણું મોટું હતું પણ આજે કોઇ  જ હાજર ન હતું .જો કે પડોશીઓ, મિત્રાે અને સાસરી પક્ષના બધા જ હાજર હતા. માત્ર અને માત્ર ઈશાનીના પિયર પક્ષ માંથી કોઈ હાજર ન હતું. 


‌કહેવાય છે કે ,મોટીબહેન અને બનેવી તો માબાપની જગ્યાએ હોય છે . એ તો હાજર ન હતા કારણ એમને તો સ્પષ્ટ કહી દીધું હતું કે તારે ત્યાં હાજરી આપવા આવીએ તાે દોઢ દિવસ જાય' મને ન ફાવે.'જયારે મોટી બહેનના એકાદ  પ્રસંગને બાદ કરતાં દરેક વખતે એને  તથા એના પતિએ હાજરી આપી હતી, પરંતુ આજે તો એના પોતાના બે દીકરાઓ પણ હાજર ન હતા. જયાં  પોતાનું લોહી એમ કહે કે, " શું કરું મને સમય  જ નથી. "ઈશાની સામે જોતાં એનો પતિ એના મનોભાવ સમજી ગયો હતો. લગ્નના ચાલીસ વર્ષ બાદ પતિ કે પત્નીને કોઈને કંઈ જ કહેવાની જરૂર પડતી નથી. એકબીજા સામે જોવાથી જ મનની વાતો વંચાઈ જાય છે .મિત્રો,સગાઓ ,પડોશીઓ ,બધાની હાજરી હોવા છતાંય ઈશાનીનાે પતિ  ઈશાનીને  મંદિરમાં એક બાજુ લઈ જઈને ઈશાનીને કહી રહ્યાે હતાે, " ઇશાની ,ઈશ્વરને મનુષ્યનું પ્રસન્ન વદન ગમે છે. તું તો  ઇશ્વરમાં ઘણું જ માને છે . એટલે જ કહું છું કે ઈશ્વર જે કરે તે સારા માટે. આજે ઈશ્વરે તને બધી મોહમાયામાંથી મુક્ત કરી દીધી છે. આપણે તો સાઠ  ઉપરના થઈ ગયા. થોડા વર્ષો કાઢવાના છે આ પૃથ્વી પર. સાથે મોહમાયા  લઇ શા માટે મરવું.? સાચું કહું છું ઈશાની, આજે હું પણ આ બધી મોહમાયામાંથી મુક્ત થઈ ગયો છું.  આપણા દીકરાઓ પાસે સમય નથી તો આપણા જીવનમાં પણ કેટલાં વરસાેનાે સમય રહ્યો છે ? "ઈશાની એની ભીની આંખો લૂછતાં બોલી, " તમારી વાત બિલકુલ સાચી છે .કદાચ આટલું સુંદર ફળ ઈશ્વરે આપણી યાત્રાનું આપ્યું છે ." ઈશાની ત્યાર બાદ આવેલા મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થામાં વ્યસ્ત બની ગઈ હતી. ગંગાપૂજન ખૂબ જ સરસ રીતે સંપન્ન થઈ ગયું હતું. આમ તો ગંગાપૂજન ગમે ત્યારે થાય પરંતુ ઈશાની તથા તેના પતિએ ગાૈમુખથી  શરૂ કરી રામેશ્વર સુધી યાત્રા કરી ,ગંગાજળ લઈ યાત્રા કરી હતી. 

ઈશાનીની ઈચ્છા હતી કે પતિની નિવૃત્તિ બાદ તીર્થ યાત્રા કરવી. તે પણ કોઈ ટુરમા નહીં. પોતાની રીતે, જે જગ્યાએ વધુ ગમે ત્યાં વધુ રોકાઇ જવું,  નિયમિત પૂજા પાઠ કરવા, દાન-પુણ્ય કરવું, એ બધું પતિ-પત્ની ને ગમતું. ખાસ કંઈ જવાબદારી નહોતી.  બંને દીકરાઓના મકાન થઈ ગયા હતા. બંને પોતાના સંસારમાં સુખી હતા. કોઈને કોઈના પૈસાની જરૂર ન હતી. 


‌ઈશાની પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી. મોટો દીકરો ડોક્ટર હતો. તેની પત્ની પણ ડોક્ટર હતી. તે ઉપરાંત સરકારી નોકરી પણ હતી અને પોતાના બે બે કિલનિક હતા. લક્ષ્મી સદા ઘરમાં વાસ કરતી હતી. પતિને નિવૃત્તિ બાદ દૂરના શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. તબિયત સારી હોવાને કારણે જ એમને નોકરી સ્વીકારી લીધી હતી. દીકરો કહ્યાગરાે , લાગણીશીલ હતાે. એવી જ એની પત્ની હતી. 


‌કહેવાય છે કે, આંબા ઉપર કેરી આવે ત્યારે આંબાે એની ડાળીઓ નીચી કરે છે. આ કુદરત આપણને શીખવાડે છે, પરંતુ  મનુષ્ય એ વાત શીખતાે નથી. લક્ષ્મી આવવાથી નમ્ર  બનાવવાને બદલે મનુષ્ય ઘમંડી અને તોછડો બને છે. ઈશાની દીકરા-વહુને બહુ ચાહતી હતી.  પોતે કંઈ પણ બનાવે તો કહે કે હું તારા માટે મોકલું છું. ત્યારબાદ દીકરો થોડા સમય બાદ કહેવા લાગ્યો, " બધુંય બજારમાં મળે છે. અમે બધુંય  ખાઈએ છીએ, મોકલવાની જરૂર નથી. " વાત તાે બિલકુલ સાચી હતી. બજારમાં બધુંય મળે છે, નથી મળતો માત્ર પ્રેમ- બજારમાં જઈને પ્રેમ ખરીદી લો તો તમે ખરા કહેવાઓ. ઈશાનીએ કહેલું  કે ત્રણ મહિના બાદ રવિવારના દિવસે જ આપણે ગંગાપુજન  રાખ્યું છે. તમે એ દિવસે કોઈ દર્દીને સમય આપતા નહિ. 

‌ 

પરંતુ  જયારે ગંગાપૂજનનાે સમય થયો ત્યારે ઈશાનીને લાગતું હતું કે અમે યાત્રાએથી ત્રણ મહીને પાછા આવ્યા છીએ એટલે અમને મળવા માટે બંને દીકરા- વહુઓ તો આવશે જ. ઘરના વગર પ્રસંગ શાેભે  પણ કઈ રીતે ? પરંતુ જ્યારે મોટા દીકરાએ કહ્યું કે મારી પાસે સમય જ નથી. હું નહીં આવી શકું. અરે ત્રણ મહિના પહેલા કહેલું  છતાંય  એની પાસે સમય નથી ? શું કલબમાં જવાનાે, ભાઈબંધાે જોડે હોટલમાં જવાનો સમય છે . જ્યારે નિ:સ્વાર્થપણે મા-બાપે બોલાવ્યા ત્યારે તમારી પાસે સમય નથી અને ઈશાની તો કેટલી ઘેલી હતી. બનારસ ગંગાજીમાં સ્નાન કર્યા બાદ એ બોલેલી, " આપણે અહીં સુધી આવ્યા છીએ તો બંને વહુઓ માટે બનારસી સાડીઓ લઈ લઈએ. આમ પણ ગંગાપૂજન બાદ બંને વહુઓને આપીશું. "અને બે મોંઘી મોંઘી બનારસી સાડીઓની ખરીદી પણ કરી લીધી હતી . ઈશાનીને લાગતું હતું કે આજે આ નિર્જીવ સાડીઓ  પણ એની સામે જોઇ એની ક્રૂર મશ્કરી કરી રહી છે .

‌બીજો દીકરો અને એની પત્ની બંને સુખી હતા. જ્યારે પણ ઈશાની એમને આવવાનું આમંત્રણ આપતી ત્યારે નાની વહુ  એટલી મીઠાસથી વાત કરતી કે કદાચ સાંભળનારને પણ થાય કે આ  વધુ વાત કરશે તો આપણને ડાયાબિટીસ થઈ જશે. એ માત્ર બોલવામાં જ મીઠી હતી. ઈશાનીએ કેટલી વાર કહેલું કે મારા દીકરાને અથાણું મારા હાથનું બનાવેલું  જ ભાવે છે. હું મોકલી આપું, ત્યારે એ તરત જવાબ આપતી, " મમ્મીજી, તમારે એવી તકલીફ લેવાની શું જરૂર છે ?" અમે ચોક્કસ એક થી પાંચ તારીખમાં  આવીશું ત્યારે લઈ જઈશું. " ત્યારબાદ એમની એકથી પાંચ તારીખ કયારેય આવતી  જ નહીં. એકાદ-બે વખત ઈશાનીએ કહ્યું," હું આવું છું તમને મળવા. " ત્યારે દીકરો કહેતાે, " હું તો દિલ્હી જવાનો છું. કયારેક કહેતો મારે કામ છે. હું ગોધરા જવાનો છું." જ્યારે કોઈ જ બહાનું ના મળે ત્યારે કહેતાે,  તું મને ખાસ મળવા માટે જ આવવાની હોય તો ના આવીશ.  હું જ  તને આવીને મળી જઈશ . દીકરો ને વહુ આવતા જ નહીં વહુ પડોશમાં કહેતી, " જોયું ,મારી સાસુથી  અમારું સુખ જોવાતું નથી. અમને મળવા બોલાવે છે અથવા એ ડોશી અહીં આવીને પડશે. પણ હુંય કંઈ જઊં એવી નથી . મીઠું બોલીને બહાના બનાવતા મને આવડે છે." અરે  મા-બાપના પ્રેમમાં ક્યાંય ઈર્ષા નથી હોતી. મા-બાપ તાે  હંમેશા ઈચ્છતા હોય કે અમારા દીકરાઓ સુખી રહે . હવે તો મા-બાપાે પણ દીકરા-વહુઓની ચાકરીની  અપેક્ષાઓ  રાખતા નથી. કારણ નાેકર, રસાેઈયા બધું મળી જ રહે છે. એમની ઝંખના માત્ર અને માત્ર પ્રેમની હોય છે . આ વાત સમજાય તો કહેવું  ના પડે કે, " મા બાપને ભૂલશો નહીં,"સંયુક્ત કુટુંબમાં રહેતા દીકરાઓ જોડે મનદુ:ખ હોઈ શકે પરંતુ ત્રણસાે  કિલોમીટર દૂર રહેતા, સતત તમારા પ્રેમની ઝંખના  કરતાં મા-બાપ  જોડે શું મનદુઃખ હોઈ શકે ? 


‌એકવાર પતિને ઓફિસના કામે એ જ શહેરમાં જવાનું થયું. ત્યારે ઈશાનીએ કેટલા નાસ્તા મોકલ્યા હતા !તે પણ હાેંશે હાેંશે બનાવીને , પરંતુ મોટા દીકરાની પત્ની સસરાને જોયા બાદ પણ ફોન પર વાતો કરતી રહી. એની આંખમાં આંસુ આવી ગયા હતા.જો કે દીકરાની વહુએ જતી વખતે 'આવજો'  શબ્દ જરૂરથી વાપર્યાે  હતો. કારણ એની પાસે સસરા સાથે વાત કરવાનો સમય નહાેતો. પતિએ ઘરે જઈને પત્નીને  આપમાનની  વાત કરી ન હતી પરંતુ પત્ની સમજી ચૂકી હતી કે પતિનું હૃદય ઘવાયેલું છે . ગંગાપૂજનના દિવસો બાદ પણ બંનેમાંથી એક પણ દીકરા કે વહુનો ફાેન આવ્યો નહાેતાે  કે તમારાે પ્રસંગ સારી રીતે પતી ગયો ? મા-બાપને પૈસાની અપેક્ષા હોતી નથી પરંતુ પ્રેમની અપેક્ષા જરૂર હોય છે. ઈશાનીએ પણ પિયરપક્ષની માેહમાયા  છોડી દીધી હતી. દીકરા-વહુની  પણ માેહમાયા  છોડી દીધી હતી. તેથી જ એક દિવસ ઈશાનીએ કહ્યું ," હવે આપણી પાસે પણ તમે કહો છો એમ થોડાક વરસાે રહ્યાં છે. ગાયત્રી મંદિરમાં સેવાભાવી માણસોની જરૂર છે. આપણે નજીકમાં રૂમ રાખી ગાયત્રી મંદિરમાં સેવા આપીશું. યજ્ઞ, ભક્તિમાં  આપણાે સમય પણ પસાર થઈ જશે. દીકરાઓ પાસે, બહેન પાસે જો આપણા માટે સમય નથી તો આપણી પાસે તો સમય છે જ  અને તે ભગવાનની ભક્તિને સમર્પિત થવાનો, લોકસેવા કરવાનો. સમય નથી કહેનાર  પાસે જ સમય હોય છે અને જ્યાં સમય કાઢવાે  ત્યાં અચૂક કાઢી શકે છે. પરંતુ આપણી પાસે સમય છે પ્રભુભકતિનાે, ગરીબાેની સેવા કરવાનાે , એમાં કયારેય કહેવું નહીં પડે કે સમય નથી."

Post a comment

0 Comments